આ વિશ્વમાં ભગવાન સિવાય કોઈ જ પરિપૂર્ણ નથી
આ વિશ્વમાં ભગવાન સિવાય કોઈ જ પરિપૂર્ણ નથી
આ દુનિયામાં કોઈ જ માણસ પરિપૂર્ણ નથી, દરેકે પરિપૂર્ણ બનવા માટે પ્રયત્ન કરવા પડે છે.આપણને કામ કરવાના આઠ કલાક, ઊંઘના આઠ કલાક અને
ઇતર પ્રવૃત્તિઓના આઠ કલાક મળે છે. આપણે એ બધામાં નિયમિતતા જાળવવાની હોય છે અને દરેક પ્રવૃત્તિ શાંતિપૂર્વક કરવાની જરૂર હોય છે.
જન્મથી જ કોઈ પરિપૂર્ણ નહીં હોવાને લીધે ધીમે ધીમે બધું શીખવું પડે છે. આપણે સુઘડ દેખાવું પડે છે અને રોજિંદા જીવનની આવશ્યક ચીજવસ્તુઓ
પોતાની પાસે રાખવી પડે છે. આજકાલ મોબાઇલ આવશ્યક વસ્તુઓમાં સામેલ છે.
મારા ઘરમાં હું શિસ્તની આગ્રહી છું. મારી સાથે તમામ પરિવારજનો પણ શિસ્તમાં માને છે અને દરેક કામ પદ્ધતિસર કરે છે. દરેક બાબતે પરિપૂર્ણ બનવા
માટે કામ કરવું પડે છે, પણ સાથે એ વાત ધ્યાનમાં રાખવી જરૂરી છે કે આ વિશ્વમાં ભગવાન સિવાય કોઈ જ પરિપૂર્ણ નથી. આથી જ ભગવાનને
પૂર્ણપુરુષોત્તમ નામ આપવામાં આવ્યું છે.
કૃષ્ણ ભગવાનના એક પુસ્તકમાં ત્રિવક્રની વાર્તા છે. એને કુબ્જા તરીકે પણ ઓળખવામાં આવે છે. એ કંસના દરબારમાં ફૂલોમાંથી સુગંધી દ્રવ્યો બનાવીને લઈ
જતી. જન્મથી એ સુંદર હતી, પરંતુ એક બીમારીને લીધે એની ખૂંધ વળી ગઈ હતી. ત્રણ જગ્યાએ ખૂંધ થઈ ગઈ હોવાથી એનું નામ ત્રિવક્ર પડ્યું હતું. એ
ઘણી જ મહેનતી કન્યા હતી. લોકો એને જોઈને મજાક કરતા, પરંતુ એને કૃષ્ણમાં અતૂટ શ્રદ્ધા હતી. એ દેખાવમાં પરિપૂર્ણ ન હતી, પરંતુ પોતાના કામમાં
ચોક્કસ હતી. એ પોતાનું કામ નિષ્ઠાપૂર્વક અને દિલથી કરતી. વાર્તા પ્રમાણે એક દિવસ એ પસાર થઈ રહી હતી ત્યાં કૃષ્ણ દેખાયા અને એણે કંસ માટે
બનાવેલો લેપ કૃષ્ણ પોતાના શરીરે ચોંપડીને બધો વાપરી ગયા. એણે એ વાતનું ખોટું લગાડ્યું નહીં ત્યારે કૃષ્ણે એને ફરીથી સુંદર બનાવી દીધી.
હું છેલ્લાં ત્રીસ વર્ષોથી સ્પીચ થેરપિસ્ટ છું. હું ગુજરાતી માધ્યમમાં ભણી હોવાથી મારા ઉચ્ચારોની લઢણ બીજાઓ કરતાં અલગ હોય છે. મને આ વાતની
જાણ હોવાથી મેં ગત વર્ષોમાં તેમાં ઘણો સુધારો કર્યો છે. આના પરથી હું કહી શકું છું કે ઉણપ પણ ક્યારેક સારી હોય છે. તેનો અફસોસ કરવાને બદલે તેમાંથી
શીખવાનું હોય છે.
આજના યુગમાં બધા પરિપૂર્ણ થવાની દોટમાં છે. વાલીઓ પોતાનાં બાળકોને પરિપૂર્ણ બનાવવા માટે પ્રયત્ન કરતાં હોય છે. યુવાનો પરિપૂર્ણ જીવનશૈલી
મેળવવા માગતા હોય છે. દંપતીઓ પરિપૂર્ણ સંબંધની ખેવના રાખે છે. પરિવારની આશા હોય છે કે દરેક સભ્ય પરિપૂર્ણ હોય. જોકે, આ બધું કરવામાં
આપણે પરિપૂર્ણ શબ્દનો અર્થ ભૂલી ગયા છીએ. દરેક રીતે પરિપૂર્ણ બનવાનું શક્ય હોતું નથી. ભગવાને દરેકને અલગ અલગ વ્યક્તિત્વ અને ક્ષમતા આપ્યાં છે.
બધાં જ લોકો બધું જ કામ કરી શકે નહીં. બધાં ભેગા મળીને પરિપૂર્ણ બની શકે છે, અલગ અલગ રહીને નહીં. આથી જ બધાંએ સાથે મળીને અને એકબીજા
સાથે સૌહાર્દપૂર્ણ વ્યવહાર કરીને જીવન જીવવાની જરૂર હોય છે.
અહીં વર્ષ 2006ની એક વાત યાદ આવે છે. હું આંતરરાષ્ટ્રીય પરિષદમાં મારું પોસ્ટર પ્રેઝન્ટેશન કરવા માટે ગઈ હતી. મારા સિવાયનાં તમામ પોસ્ટર
વિદ્યાપીઠોનાં હતાં. ત્યાંના નિર્ણાયકોમાંથી એકે આવીને મને પૂછ્યું, "તમે તો પ્રાઇવટ પ્રૅક્ટિસ કરો છો, તમારે સંશોધન કરવાની જરૂર શું છે? સંશોધન કરીને
તમે સમય બગાડી રહ્યાં છો." હું ભલે કોઈ શિક્ષણ સંસ્થાનું પ્રતિનિધિત્વ કરી રહી ન હતી. મારો ઉદ્દેશ્ય તો મારા કામમાં વધુ ચોક્સાઈ લાવવાનું અને
પ્રોફેશનલ તરીકે કંઈક નવું શીખવાનો હતો. મારા આ અભિગમથી એ નિર્ણાયક ખુશ થઈ ગયા. તેઓ પ્રોફેસર પણ હતા. તેમણે મને એમની ઇન્સ્ટિટ્યુટમાં
આવવાનું આમંત્રણ આપ્યું અને શ્રવણયંત્રો બાબતે તાલીમ પણ આપી. આ તાલીમ મને મારા કામમાં ઘણી ઉપયોગી થઈ છે.
આજે લોકો બધું ઝડપથી પ્રાપ્ત કરી લેવા માગે છે, પરંતુ એમાં વધુ માનસિક તાણ ઊભી થાય છે. વ્યક્તિએ સ્વપ્નો જોવાં અને એ સાકાર કરવા માટે કામ
કરવું એમાં કંઈ ખોટું નથી, પણ રાતોરાત સ્વપ્નો સાકાર થઈ જાય એવી ઈચ્છા રાખવી એ ખોટું છે. મહેનત કર્યા વગર કંઈ મળતું નથી અને જે મળે છે એમાં
ક્યાંક કોઈ ગરબડ હોવાની શક્યતા હોય છે.
------------------
Comments
Post a Comment