ધીરજ રાખો, તમારા હકનું બધું મળી રહેશે
ધીરજ રાખો, તમારા હકનું
બધું મળી રહેશે
આપણે આ પૃથ્વી પર મનુષ્ય તરીકે જન્મ્યા છીએ. આપણે ખાલી મન સાથે આવીએ છીએ, અને પછી ધીમે ધીમે, જેમ જેમ આપણું મગજ સક્રિય થાય છે, તેમ તેમ આપણા વિચારો, અનુભવો અને આસપાસના વાતાવરણના સંપર્કને લીધે જીવનયાત્રા વિશે વિચારવાનું શરૂ કરીએ છીએ અને વિકસીએ છીએ.
જે રીતે આપણે મુસાફરી વખતે જીવનની ઘણી બધી યાદો ભેગી કરીએ છીએ. એવી જ રીતે, જીવનની સફરમાં, આપણે દુ:ખ, સુખ અને બીજી ઘણી બધી લાગણીઓ ભેગી કરીએ છીએ.
જન્મ પછીનાં જીવનનાં પ્રથમ થોડાં વર્ષો આપણા જીવનનાં સૌથી સુખી વર્ષો હોય છે, કારણ કે આપણે ધીરજ રાખવાની જરૂર નથી હોતી; આપણે લાગણીઓને નિર્દોષતાથી વ્યક્ત કરી શકીએ છીએ.
જ્યારે વિચારો જ્ઞાન બની જાય છે, ત્યારે આપણે આપણી આસપાસની દુનિયાને સમજવા માટે અત્યંત ધીરજ રાખવી જોઈએ. જો તમે કુદરતને જોશો, તો ખયાલ આવે છે કે સૂર્ય પણ સવારમાં ઊગવા આખી રાત ધીરજપૂર્વક રાહ જુએ છે.
ચંદ્ર આખી રાત ચમકવા માટે રાત પડવાની રાહ જોવાની ધીરજ ધરાવે છે. છોડ જમીન અને સૂર્યપ્રકાશને શોષીને વૃદ્ધિ કરવા માટે પ્રતીક્ષા કરે છે.
શું આપણે મનુષ્યો પાસે આ ઝડપી ગતિશીલ વૈજ્ઞાનિક વિશ્વમાં પોતાને માટે વધુ સારું ભવિષ્ય બનાવવા માટે હજુ પણ ધીરજ છે?
આપણા પૂર્વજો અથવા આધ્યાત્મિક ગુરુઓએ, ભગવાન સાથે નિકટતા કેળવવા, શ્રદ્ધા રાખવા અથવા આધ્યાત્મિકતાની અનુભૂતિ કરવા વર્ષો સુધી ધૈર્યપૂર્વક, મંત્રોચ્ચાર અને પ્રાર્થના કર્યાં.
તાજેતરમાં આપણા વિશ્વમાં, આપણે સુખની શોધમાં યોગ અને ધ્યાન વિશે વાત કરવાનું શરૂ કર્યું છે, જે ધીરજ રાખવા સિવાય બીજું કંઈ નથી.
શું આપણે ખરેખર આપણા જીવનમાં આનો અભ્યાસ કરીએ છીએ? રોબોટિક્સની દુનિયામાં આપણે ધીરજ ગુમાવી રહ્યા છીએ.
તમે ધીરજ કેળવીને આંતરિક સુખની નજીક પહોંચી શકો છો. થોડા વખત પહેલાં એક બાળકને લઈને આવેલાં માતાપિતાને મારે એમ જ કહેવું પડ્યું કે બાળક બોલવામાં થોથવાય છે અને એની સારવાર રાતોરાત શક્ય નથી. એની પાછળ ધીરજપૂર્વક મહેનત કરવાથી ચોક્કસ પરિણામ આવશે. માતાપિતા વચ્ચે જ સમન્વય નહીં હોવાથી બાળકનો વિકાસ રૂંધાયો હતો અને એ વાત એમને બન્નેને સમજાવવાનું જરા મુશ્કેલ બનયું હતું. આખરે મારે એમને સ્પષ્ટ કહેવું પડ્યું કે તમે પોતે સમાન વિચારતાં થાઓ અને પછી બાળકની સુધારણા માટે પ્રયાસ કરો. બાળક ઘણું જ હોંશિયાર છે અને એને એની બુદ્ધિનો યોગ્ય ઉપયોગ કરતાં શીખવવાની જરૂર છે.
મારાં આટલાં વર્ષોની પ્રૅક્ટિસ પરથી હું એટલું ચોક્કસપણે કહી શકું કે માતાપિતા ધીરજપૂર્વક બાળકની પાછળ મહેનત કરે તો બાળક જીવનના મોટા મોટા અવરોધો દૂર કરવા સક્ષમ બની શકે છે. બાળકો પોતાના ઈલાજમાં ધીરજ રાખી શકે છે, જ્યારે માતાપિતા માટે એ અઘરું હોય છે.
એક વખત અમારી ઑડિયોલૉજીની પરિષદમાં મને સાથે ઑડિયોલૉજિસ્ટ મળી ગયાં. તેઓ મને સારી રીતે ઓળખે છે. મારો જ એક શ્રવણમંદ વિદ્યાર્થી એમને મળ્યો હતો. એની વાચા સ્પષ્ટ છે એ જોઈને એમને ઘણું આશ્ચર્ય થયું. એ વિદ્યાર્થીએ એમને કહ્યું હતું કે મારા તથા એનાં માતાપિતાના ધીરજપૂર્વકના પ્રયાસને લીધે જ એની શ્રવણશક્તિ અને વાચામાં સુધારો થયો છે અને આત્મવિશ્વાસ ખીલ્યો છે. અહીં મારાં નહીં, પરંતુ મારા વિદ્યાર્થીનાં વખાણ થઈ રહ્યાં હતાં એ આનંદની વાત હતી.
આથી આજે હું ફરી વાર કહું છું કે શ્રવણશક્તિ એ પંગુતા નથી. જેને પણ સાંભળવામાં તકલીફ હોય તેઓ ખામીને છુપાવવાને બદલે અને એનો ઈલાજ કરાવવામાં વિલંબ કરવાને બદલે બધી જ તપાસ કરાવીને જરૂર હોય તો સારામાં સારું ડિજિટલ શ્રવણયંત્ર ખરીદે અને સ્પીચ થેરપી કરાવે. ધીરજપૂર્વક કામ કરીને આગળ વધવાનું છોડીને રાતોરાત પરિણામ મળે એવી ઈચ્છા રાખવી નકામી છે. આ જગત પણ એક દિવસમાં રચાયું નહીં હોય, ખરું ને?
Comments
Post a Comment