વિચાર્યા વગરનો વિચાર: શું આપણે આપણી ક્ષમતાઓ પ્રત્યે અજાણ છીએ?

 વિચાર્યા વગરનો વિચાર: શું આપણે આપણી ક્ષમતાઓ પ્રત્યે અજાણ છીએ?


વિચાર્યા વગર વિચારવું. સાંભળવામાં આ વિષય જેટલો વિચિત્ર લાગે છે, એટલો જ રસપ્રદ છે! તાજેતરમાં મેં એક પુસ્તક વાંચ્યું જેમાં લખ્યું હતું કે મનુષ્ય પાસે વિચારવાની અદભૂત શક્તિ છે, પરંતુ મોટાભાગના લોકો ખરેખર ‘વિચાર્યા’ વગર જ પોતાના વિચારોનો ઉપયોગ કરે છે. આવું કેમ? માનવજાતનો સૌથી મોટો ‘રોગ’ છે - બહાનાબાજી અને બીજા પર દોષારોપણ. અસંખ્ય લોકો સામાન્ય જીવન જીવે છે અને પોતાની નિષ્ફળતાઓને તર્કબદ્ધ બહાનાઓ નીચે છુપાવતા રહે છે. તેઓ એવી દલીલો રજૂ કરે છે જાણે આખી દુનિયાની મુસીબતો માત્ર તેમના માટે જ સર્જાઈ હોય! પરંતુ તેની સામે એવા પણ લોકો છે જેઓ સમાન અથવા તેનાથી પણ કપરી પરિસ્થિતિમાં હોવા છતાં આસમાની સફળતા મેળવે છે. આ તફાવત માત્ર 'સભાન વિચાર પ્રક્રિયા'નો છે.

તાજેતરમાં મારી એક ક્લાયન્ટ સાથે મારે ખૂબ ઊંડી ચર્ચા થઈ. તેમને સાંભળવાની તકલીફ હતી. મેં તેમને સમજાવ્યું કે તે બુદ્ધિશાળી હોવાથી તેમનું મગજ અધૂરા શબ્દોને આપમેળે પૂરા કરી લે છે, કારણ કે મગજમાં ભાષા પહેલેથી જ નોંધાયેલી છે. પરંતુ વય વધવાની સાથે મગજ અવાજને પ્રોસેસ કરવામાં ધીમું પડે ત્યારે આ ‘કમ્પન્સેશન’ કામ નથી આવતું.

તેમણે બહુ સચોટ વાત કરી, આપણે ઘણીવાર આપણા શરીર અને તેની શક્તિઓ પ્રત્યે કેટલા અજાણ હોઈએ છીએ! આપણી પાંચેય આંગળીઓ લખી કે પકડી શકે છે, પણ કઈ આંગળીમાં કેટલી શક્તિ છે કે કઈ આંગળી બીજીને ટેકો આપે છે, તે જાણવાની આપણે ક્યારેય કોશિશ કરી છે? આ સાદી વાતમાં જીવનનું બહુ મોટું તત્વજ્ઞાન છુપાયેલું છે.

ઓટિઝમ પરના એક સંશોધનમાં મનોવૈજ્ઞાનિકોએ એક શબ્દ વાપર્યો છે, માઇન્ડ બ્લાઇન્ડનેસ . જે લોકોને ઓટિઝમ હોય તેઓ અન્યના હાવભાવ કે લાગણીઓને સમજી શકતા નથી. મને વિચાર આવ્યો કે આજના સેલ્ફી-કેન્દ્રિત સોશિયલ મીડિયાના યુગમાં, શું આપણે બધા પણ ધીરે ધીરે 'માઇન્ડ બ્લાઇન્ડ' નથી થઈ રહ્યા? આપણે બીજાની સંવેદનાઓ સમજવાની ક્ષમતા ગુમાવી રહ્યા છીએ અને મશીનની જેમ જીવી રહ્યા છીએ.

આપણો ચહેરો 43 સ્નાયુઓની મદદથી 10,000 થી વધુ પ્રકારના હાવભાવ બનાવી શકે છે. આ બધું જ અચેતન મન દ્વારા થાય છે. આપણે ઘણું બધું કરી લઈએ છીએ પણ આપણને ખબર સુધ્ધાં હોતી નથી.

જેઓ અસાધારણ સફળતા મેળવે છે, તેઓ 'વિચાર્યા વગર વિચારનારા' નથી હોતા. તેઓ સભાનપણે વિચારે છે અને તે મુજબ અમલ કરે છે. તેમની પાસે કોઈ રાજકીય પીઠબળ કે મોટી ડિગ્રીઓ ન હોય તો પણ તેઓ પોતાનું નસીબ પોતે ઘડે છે. સફળ લોકો હંમેશા પોતાની જાતને પૂછે છે, મને આગળ વધતા શું રોકી રહ્યું છે?

સાચી સફળતા માત્ર વ્યક્તિગત સિદ્ધિ નથી. જો તમારી સફળતા તમને સંવેદનશીલ ન બનાવે, તો તે અધૂરી છે. આપણે ભૂતકાળના પ્રકરણોમાં અટવાઈ રહેવાને બદલે, જીવનના એવા નવા પ્રકરણો લખવા જોઈએ જે અન્યો માટે માર્ગદર્શક બને.

હું સ્ટેમરિંગની સમસ્યા ધરાવતા દર્દીઓને ઘણીવાર 'ફેક સ્ટેમરિંગ'ની પ્રેક્ટિસ કરાવીને સભાન વક્તા બનાવવાનો પ્રયત્ન કરું છું. તેમાંથી ઘણા સામાન્ય લોકો કરતા પણ સારા વક્તા બને છે. ક્યારેક હું મારી જાત સાથે મજાક કરું છું કે, વિચાર્યા વગર વિચારશો નહીં...!

પરંતુ હૃદયના ઊંડાણથી મને આ ત્રણ વાતોમાં વિશ્વાસ છે:

1. હા, જો હું નક્કી કરું તો હું મારી જાતને બદલી શકું છું.

2. હા, હું મારી હકારાત્મકતાથી બીજાના જીવનમાં પરિવર્તન લાવી શકું છું.

3. હા, હું આ દુનિયાને વધુ સુંદર બનાવવા માટે મારું યોગદાન આપી શકું છું – માત્ર કરુણા અને પ્રેમ દ્વારા.

આ હેતુ જ મને જીવવાની આશા અને શક્તિ આપે છે.

Comments

Popular posts from this blog

મૈત્રીનો ઉત્સવ આજીવન ઉજવાતો હોય છે

આપણે દરેક તકલીફના લાલ સિગ્નલને આધ્યાત્મિક ઊર્જાની મદદથી લીલું સિગ્નલ બનાવી શકીએ છીએ

'વફાદારી' માત્ર એક શબ્દ નથી, એ તો જીવનશૈલી છે...